શનિવાર, 14 ફેબ્રુઆરી, 2015

માનવતાની તરસ







વૈશાખી બળબળતો ઉનાળો. મુંબઈ શહેરનું ભેજવાળું વાતાવરણ. ગરમી અને બફ઼ારાનું સામ્રાજય. આખા વર્ષના સૌથી વધું ઉષ્ણતામાનવાળા તે દિવસો. બપોરના ૧૨ વાગ્યાનો સમય અને ધોમધખતા સૂરજદેવતા. ૩૮-૪૦ ઉષ્ણતામાનમાં જ્યાં પરિશ્રમ કર્યા વગર પસીનો થાય તેવી હાલત અને આવા જ એક બળબળતા બપોરની આ વાત.

મહેનત મજૂરી કરવા પોતાના ગામ છોડી શહેરમાં આવતા મજૂરોની ભારતામાં કમી નથી.પરિવારને ગામમાં એકલા મૂકી બે ટંક રોટલો મળી રહે એવી આશાએ મજૂર વર્ગના અનેક માણસો મુંબઈમાં આવે છે.આવા જ મજૂરોની એક ટૂકડી માજે મુંબઈના પરામાં રસ્તા ખોદવાના કામે લાગી હતી.ગરમીમાં માણસો ઘરની બહાર પગ ન મૂકે ત્યારે આ મજૂરો પેટ ખાતર મજૂરી કરી રહ્યા હતા.ગરમીમાં પસીનેથી નીતર

તા તેમના શરીરો પસીને રેબઝેબ હતા. તેમના મોઢા પર સૂરજના કિરણો પણ પડીને પાછા ફ઼રતા હતા.ધોમધખતો સૂરજ અને કાળી મજૂરી દયનીય સ્થિતિનું સર્જન કરતી હોય છે.ગરમીથી શરીરના જેટલા પાણીનું બાષ્પીભવન થાય છે તેટલા જ પાણીની તરસ પણ લાગતી હોય છે.આ મજૂરો પણ ગરમી અને પાણીની તરસથી ગ્રસ્ત હતા.મુંબઈ જેવા શહેરમાં પાણીના પરબ ક્યાં ગોતવા જવા?વર્ષો પહેલા કોઈ દયાળુ દાતાઓએ બનવેલા પરબો આજે પણ બચ્યાં છે.વિદેશી કંપનીઓએ આપણને પ્લાસ્ટિકની બોટલના પાણી પીતા કરી દીધા છે.પાણીના પરબ જેવી પુણ્યશાળી પ્રથાને અસ્થ કરાવી દીધી છે.આપણા જ ગામનું કુદરતે આપેલું પાણી આપણને બોટલમાં ભરીને વેચવાનાં આ ધંધાએ આપણને ભૂલાવી દીધું છે કે પાણી એ તો અમૃત છે. આંગણે આવેલાને પાણીની ના તો ન જ પડાય.

મજૂરોએ તરસના માર્યા રસ્તાની બાજુએ આવેલી દુકાનમાં પાણી માંગ્યું. શેઠ કરતા નોકર સવાયા એ નાતે નોકરે પાણી તો આપ્યું અને સાથે સાથે કહી દીધું, ’બીજીવાર પાણી માંગવા આવવું નહી.’ ૧૦-૧૨ મજૂરો હોય઼ એટલે સહેજે ૫-૬ બોટલ પાણી તો જોઈએ જ.નોકરનું ના પાડવાનું જે પણ કારણ હોય, બાજુની દુકાનમાં બઠેલા કાકા આ દ્ર્શ્ય નિહાળતા હતા.પાણી માટેની ના સાંભળી તેમનું હ્ર્દય દ્રવી ગયું.ઉનાળામાં તો પંખી પારેવડા માટે પાણીના કુંડા રખાય જ્યારે અહીંયા તો માણસને પણ જાકારો. મજૂરો પાણી પીને પોતાને કામે લાગ્યા. બિસલેરીની બોટલ ખરીદીને પાણી પીવાની તેમની ત્રેવડ તો હતી નહિ.તેઓ પણ મૂંઝાણા કે હવે પાણી પીવા ક્યાં જઈશું ? તેમના મુખ પર તરી આવેલી આ મૂંઝવણ કાકાએ પરખી લીધી. કાંઈક વિચાર કરતા કાકા ઘરે આવ્યા.

ઘરે આવીને તપાસ કરી કે ખાલી બોટલો છે જેમાં પાણી ભરીને મજૂરોને દઈ શકાય.બોટલ તો ફકત એક જ નીકળી.મજૂતો ૧૨ અને ૧ જ બોટલે કામ ન થાય.પછી વિચાર આવ્યો લાવો પાડોશમાં પૂછીએ.બોટલો પાછી નહિ આવે અને મજૂરોને આપવી છે તે વાત કરી.માનવતા ક્યાંક જીવે છે તે નાતે પાડોશમાંથી બોટલો મળી ગઈ.બધી બોટલો સાફ કરી તેમાં પાણી ભરીને કાકા તો ચાલ્યા,મજૂરોને દેવા. પાણી મળ્યું એ જોઈને મજૂરોના ચહેરાની રોનક બદલાઈ ગઈ.બધા મજૂરોએ કામ મૂકી પહેલા પાણી પીધું.પાણી જો કે ફ્રીજનું  ઠંડુ પાણી ન હતું ,પરંતું તેમાં તરસ છીપાવવાની તાકાત હતી.અદ્‌ભૂત સંતોષ હતો. રસ્તાનું ખોદકામ તો સાંજ સુધી ચાલવાનું હતું, વારંવાર પાણી કોણ લઈ આવશે? તે સવાલ ઊભો થયો. કાકાએ મજૂરોમાંથી એકને સાથે લીધો અને નજીકમાં આવેલી સામાજીક સંસ્થાનું વોટર કુલર બતાવ્યું જ્યાં આખો દિવસ ઠંડા પાણીની વ્યવ્સ્થા હતી.બધી બોટલો મજૂરોને આપી, તરસ લાગે તો પાણી ક્યાંથી મળી રહેશે તેની વ્યવસ્થા કાકાએ કરી આપી.

આ બધી હલનચલન જોઈ દુકાનનો નોકર બહાર આવ્યો અને પછી ચાલુ કરી ચર્ચા. "પાણીની વ્યવ્યસ્થા કરવાનું કામ તો મજૂરોના કોન્ટ્રાક્ટરનું છે.આપણે શા માટે તકલીફ લેવી ? કોન્ટ્રાક્ટરને પાણી+જમવાના પૈસા મળતા હોય છે. તે મજૂરોને  આપે નહિ અને પોતે ખાઈ જાય.આ મજૂરોને આપણે કહેવું જોઈએ કે તમારા કોન્ટ્રાક્ટરને કહો પાણીની વ્ય્વસ્થા કરે....વગેરે વગેરે.." આ બધી ચર્ચા કદાચ સાચી હશે. બધી વાતો કાયદાકીય રીતે સાચી હશે. પરંતુ આ ચર્ચાનો સાર નીકળે ત્યાં સુધી શું તમે મજૂરોને પાણી વગર મરવા છોડી શકો ? માનવતાના ધોરણે પાણી દેવું તે આપણો ધર્મ છે.

ફ્કત ચર્ચાથી બધી સમસ્યાનો ઉકેલ નથી આવતો.માનવતા અને સમયની જરુરિયાત મુજબ નિર્ણય લેવાય તો સમાજના બધા વર્ગનો સુમેળ સધાય. મિત્રો ,બીજીવાર પાણી માટે કોઈને નકારતા પહેલા એકવાર વિચારજો  કે તમને તરસ લાગે અને તમને કોઈ પાણીની ના પાડે તો ?

આપણને નકામી લાગતી વસ્તુઓનું બીજાને મન મૂલ્ય હોઈ શકે.તે વસ્તુ બીજા માટે કદાચ અમૂલ્ય પણ હોઈ શકે.પ્લાસ્ટિકની નકામી બોટલો આપણે ફેંકી દેતા હોઈએ છીએ. તે  મજૂરો માટે આખા દિવસના પાણીનો આધાર બની.કોઈ વસ્તુ કચરામાં ફેંકતા પહેલા એક વિચાર આવવો જોઈએ , ’ શું એવું કોઈ જરુરિયાતમંદ છે ? જેને આ વસ્તુ ઉપયોગી છે ? અને જવાબ જો હા માં હોય તો જરુરથી તેને કોઈને આપીને રાજી થાજો.’


શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2015

કુંવારી અનઘા અને સમાજ





 રમાબહેન અને મુકેશભાઈના આંગણે આજે દીકરીના કન્યાદાન અને વિદાયનો પ્રસંગ હતો.વર્ષોથી જોયેલા સપનાઓ આજે હકીકત બની રહ્યા હતા.અનઘા , આનંદ અને અનુજા આ ત્રણ તેમના સંતાનો. ખૂબ  મહેનત કરી ત્રણેને ભણાવ્યા હતા. બધા સંતાનો એન્જિનિયર બની મુંબઈમાં સારી નોકરીએ હતા.બાળકોની ખૂશીમાં જ તો મા-બાપની દુનિયા સમાયેલી હોય છે. આજે તો સૌથી નાની દીકરી અનુજાના લગ્નનો રુડો અવસર હતો.અનઘા ત્રણેય ભાઈ બહેનોમાં સૌથી મોટી પરંતુ તેના હાથ હજી પીળા કરવાન બાકી હતા.તેનાથી બે વર્ષ નાનો આનંદ અને ચાર વર્ષ નાની અનુજા.

   લગ્ન હોય઼ એટલે ઘર તો મહેમાનોથી અને મોજમજાથી ભર્યું હોય પરંતુ આ બધા વચ્ચે અનઘા કયાંક ખોવાઈ ગઈ હતી. તેની બહેન કાયમ માટે અમેરિકા વિદાય થઈ રહી હતી.રંગે-રુપે દેખાવડી અનુજાને સરસ મજાનો વર અને પ્રેમાળ સાસુ- સસરા મળ્યા હતા. ફ઼કત આટલું જ નહિ પરંતુ તમે જેની કલ્પના કરો તે બધું જ મળ્યું હતું. અનઘા આ બધું જોઈ અનુજા માટે ખૂબ જ ખૂશ હતી. તેની એકલતાનું કારણ કાંઈક બીજું હતું.ઘરમાં સૌથી મોટી હોવાને નાતે તેણે આજ સુધી બધા ભાઈ બહેનોને અને ઘરના કામોને સાચવ્યા હતા.શ્યામવર્ણી,ઓછાબોલી પણ દિલથી બધા માટે ભોગ આપનાર અનઘા ભૂતકાળમાં સરી પડી.કોલેજના દિવસોમાં પ્રેમની માયાજાળમાં તે ફ઼સાઈ ગઈ હતી.આ પ્રેમ કોલેજ સુધી સિમિત ન રહેતા લગ્ન સુધી પહોંચે એવા સપનાઓ તેણે જોયા હતા.આ વાત જ્યારે ઘર સુધી પહોંચી ત્યારે તો ઘરમાં તૂફ઼ાન આવી ગયું હતું. રમાબહેન પ્રેમ લગ્નની વિરુધ્ધમાં હતા.મુકેશભાઈ દુનિયાદારી સમજતા. ’અનઘાનો પ્રેમી આપણાથી ઉતરથી જાતનો છે એટલે બસ ના અને ના જ.’ આ રટ લઈ રમાબહેન બેસી રહ્યા.અનઘાનો પ્રેમી ભણેલ -ગણેલ અને એક વ્યકતિ તરીકે પણ વ્યવસ્થિત હતો. રમાબહેનની જીદ આગળ કોઈનું કંઈ ન ચાલ્યું.મુકેશભાઈએ પત્નીને સમજાવવની ઘણી કોશિશ કરી અને છેવટે ના ની હા થઈ જ નહિ.માબાપને દુ:ખી કરી પ્રેમને કાયમી કરવામાં અનઘા માનતી ન હતી.તેણે મા આગળ નમતું જોખ્યું. તેનો પ્રેમ કાચ્ચો હતો એવું ન હતું. તેનો કુટુંબપ્રેમ તેના ભાવિ પતિપ્રેમ આગળ જીતી ગયો.

   અનઘા આ આઘાતમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરતી. લવ મેરેજ ના થયા એટલે તે અરેંજ મેરેજના ચક્કરોમાં  ફસાઈ ગઈ.રમાબહેને તેના માટે યોગ્ય મુરતિયો ગોતવાની શરુઆત કરી દીધી.ક્યાંક  કુંડલી ન મળતી તો કયાંક તેનો રંગ તેને ભળવા ન દેતો. નકારથી તે થાકી ગઈ હતી. એકલતાએ  તેનો ભરડો લઈ લીધો હતો.માની જીદ આગળ તેણે કરેલો સમજોતે તેને ભારી પડવા લાગ્યો.મૂંઝાતી, દુ:ખી થતી,નિરાશ થતી અનઘા બસ જીવવા ખાતર જીવતી હતી.એવામાં અનુજા માટે સગામાંથી અમેરિકાથી માગું આવ્યું અને અનઘાની પહેલા અનુજાના લગ્ન લેવાનું નક્કી થયું.

     હવે અનુજાનો ફોન રોજ વ્યસ્ત આવતો.અમેરીકાથી ગિફ઼્ટોના પાર્સલો આવવા માંડ્યા. અનઘા આ બધું જોતી અને પોતાને માટે બસ એક નિસાસો નાખતી.તેને લાગવા માંડ્યું હતું કે ઘરમાં મારું કોઈ છે જ નહિ.બધા નવા જમાઈ અને અનુજામાં ખોવઈ ગયા છે.તેને એકલતા કોરી ખાવા લાગી હતી. અનુજા માટે તે ખૂશ ન હતી એવું ન હતું પરંતુ અજાણતા મનમાં સરખામણી થઈ જતી. તેને લાગતું કે મારા ભાગ્યમમાં કદાચ જીવનસાથી લખવાનું ભગવાન ભૂલી ગયો છે. આમા કાંઈ અનઘાનો વાંક ન હતો આ તો ઉંમરનો ટંકાર હતો.લગ્નની એ ઉંમરમાં સહપાઠીઓ ,ઓફ઼િસમાં સાથે કામ કરતા બધાના લગ્નના કાર્ડ છપાતા. ફ઼કત  એક અનઘા સિવાય જાણે કે બધાના લગ્ન લેવાઈ રહ્યા હતા.સગાસંબંધીઓએ પૂછી પૂછીને તેના મગજમાં લગ્નનું ભૂત ચડાવી દીધું હતું. તે જ્યાં જતી ત્યાં એક જ સવાલ ’ અનઘા લગ્ન કયારે કરે છે ?’  તે શું જવાબ આપે ? મનામાં કહેતી , ’ મારું ચાલે તો કાલે જ કરી લઉં પણ મુરતિયો તો ગોતી લાવો.’  આ બધું પહેલા ઓફ઼િસ , કોલેજ અને ફ઼ેસબુક સુધી સિમિત હતું જ્યારે હવે અનુજાના લગ્ન નક્કી થતાં ઘરમાં પ્રવેશી ગયું હતું. અનુજાને જીવનના આ તબક્કે જોઈ પળ પળ તેને યાદ આવતું કે તે હજી કુંવારી જ છે.મન મારવાનું જાણે કે તે જન્મજાત શીખીને આવી હતી.મનને રોજ મનાવતી કે નસીબમાં હશે ત્યારે થાશે.તેવામાં અનુજાના લગ્ન લેવાયા અને સગાસબંધીઓના સવાલ પાછા શરુ થયા. આ બધું તેને અંદરથી હચમચાવી મુકતું. પણ કહે તો કોને કહેબધા જ અનુજાની ખૂશીમાં ખૂશ હતા. અનઘાની વાત સાંભળવાનો સમય કોની પાસે હતો ?

લગ્ન પણ રંગેચંગે ઉકલી ગયા. અનુજા અમેરિકા ચાલી ગઈ.આમને આમ બીજા બે વર્ષ વીતી ગયા.અનઘા માટે ક્યાંય મુરતિયાનો મેળ ખાતો જ ન હતો. તે પણ બાયો ડેટા જોઈને ,છોકરાઓને મળીને, સવાલોના જવાબો આપીને કંટાળી ગઈ હતી.દીકરી બનવાની જાણે કે તેને સજા મળી રહી હતી.રમાબહેને હવે આનંદ માટે વહુ લઈ આવવાની ઉતાવળમાં હતા.નસીબ જોગે મેળ પણ પડી ગયો. આનંદના લગ્ન લેવાયા.અનઘાને લાગ્યું કે રમાબહેન તેને જાણે ભૂલી ગયા છે.ઘરમાં તે જાણે બોજ બની ગઈ હતી.એકલતા અને નિરશાએ તેનું મનોબળ ભાંગી નાખ્યું હતું.આનંદના લગ્નમાં પણ ફ઼રી એજ સવાલો, ’હજી અનઘાના લગ્ન નથી થયા ? ૩૨ વર્ષની તો થઈ ગઈ છે .ક્યારે કરશે તે લગ્ન ? ’ કોઈક તો અનઘાની જગ્યાએ પોતાની જાતને મૂકી જુઓ. તેની વેદના તમારા રુંવાટા ઊભા કરી દેશે.કોઈક તો એવું મળે જે તેને કહે , ’દીકરી અનઘા અમે તારું દુ:ખ જાણીએ છીએ. ભગવાનના ઘરે દેર છે અંધેર નથી. તારો હાથ જલ્દી પીળો થઈ જશે.’

આપણો સમાજ જે મરેલાને મારવામાં માને છે , જે અનઘા જેવી કેટલીય દીકરીઓના મનોબળને તોડવામાં માને છે. અનઘા આજે પણ વિચારે છે તેની ભૂલ શું છે? એજ કે તેણે રમાબહેનની જીદ આગળ પોતાનો પ્રેમ ભૂલાવી દીધો કે તેનું નસીબ? કે તેની કુંડળી? કે પછી ઘરમાં તેની બધાએ કરેલી ઉપેક્ષા કે સમાજ આનંદ અને અનુજા તો પોતપોતાના કુટુંબમાં ભળી ગયા પણ અનઘાને પોતાના જ ઘરમાં પારકી કરવાની આપણા સમાજની રીત કોઈ દીકરીને આત્મહત્યા કરવા ન પ્ર્રેરે તો નવાઈ!! અનઘા ક્યાં સુધી સમાજના આ વલણ સામે ઝઝૂમતી રહેશે ?

આપણા સમાજનો વણલખ્યો નિયમ હતો કે ઉંમરમાં મોટા સંતાનોના લગ્ન પહેલા અને પછી નાના સંતાનોના. આ નિયમ પાછળ કદાચ કોઈ દીકરીએ અનઘા ન બનવું પડે તેવી ભાવના હશે ? કે પછી આજના જમાનામાં જ્યાં અપેક્ષાઓ વધી ગઈ છે , ગુણ કરતાં દેખાવ મહત્વનો બની ગયો છે ત્યાં અનઘા જેવી દીકરીઓએ આ ભોગ આપવો જ રહ્યો.આ સવાલોના જવાબ અટપટા છે પરંતુ ક્યાંક તમારા કુટુંબમાં અનઘા મળી જાય તો,’ લગ્ન ક્યારે કરે છે?’ એ સવાલ ન પૂછતા. એ જ એના માટે આશીર્વાદ હશે.